ધાણાજીરું બનાવવાની રીત
જ્યારે મસાલા ની સીઝન લગભગ પૂરી થઈ ગઈ છે ત્યારે તમારા ઘર માં બનેલું ધાણાજીરું કેટલું લાભદાયક છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. તમે માત્ર સ્વાદ અને સુંગધ માટે ધાણાજીરું નો ઉપયોગ કરતા પહેલા ચોક્કસ થી જાણી લો તેના અગણિત ફાયદાઓ… જો તમે ધાણાજીરું તમારા રસોડા માં ઓછું ઉપયોગ કરતા હોય તો ચોક્કસ થી તેનો ઉપયોગ વધારી ને નિરોગી બનો.
રોજીંદા વપરાશ માં લેવાતું ધાણાજીરું માત્ર સ્વાદ માં જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માં પણ ઉમેરો કરે છે. ખૂબ જ પૌષ્ટીક એવું ધાણાજીરું સૂકા ધાણા અને જીરું ને ક્રશ કરી ને બનાવામાં આવે છે. લગભગ બધા ના ઘરે ધાણાજીરું મસાલા ની સીઝન માં બનતું હોય છે.
સામગ્રી:-
- 2 કિલો સૂકી ધાણી,
- 400- 500 ગ્રામ જીરું,
- 5-7 તજપત્તા.
રીત:-
સૌ પ્રથમ ધાણા અને જીરું બંને સાફ કરી લો અને ગેસ પર મોટી જાડી કડાઈ માં સહેજ ગરમ કરો. આપણે તેને શેકવાનું નથી માત્ર જરા ગરમ કરવાનું છે જેથી આખું વર્ષ સ્ટોર કરીએ તો બગડે નહીં અને સુંગધ પણ ખૂબ સારી આવે છે.
હવે મોટા મિક્સર બાઉલ માં ધાણા ની સાથે થોડું જીરું ઉમેંરતા જાવ અને ઝીણું ક્રશ કરી લો. સાફ કરેલી ઘઉંના લોટ ની ચારણી થી ચાળી લો. અને જે કરકરો ભાગ ચારણી માં વધે અને ફરીથી બાઉલ માં બીજા ધાણા અને જીરા સાથે ક્રશ કરો. વચ્ચે તજપત્તા પણ ઉમેરી દો. આ રીતે બધા ધાણા અને જીરું ક્રશ કરી લો અને ચાળી ને બધું ધાણાજીરું તૈયાર કરો.
નોંધ : જે મિક્સર ચારણી માં બચે એનો ઉપયોગ ધાણા ના કુરિયા તરીકે પણ કરી શકાય.
જો તમારા ઘરે અનાજ દળવાની ઘંટી હોય તો એમાં પણ કરી શકો છો અથવા બહાર પણ કોઈ ફ્લોરમિલ માં પણ દળાવી શકો છો.
તૈયાર થયેલા ધાણાજીરા ને સાફ કરેલી કાચની બરણી માં એકદમ દબાવી ને ભરવાથી આખું વર્ષ બગડશે નહીં. પાણી વાળા હાથે ના નિકાળો જેથી બગડી જવાનો ડર રહે નહીં.
આ ધાણાજીરું આખું વર્ષ રસોઈમાં ઉપયોગ માં લો. ગરમી માં છાશ માં પણ ઉમેરી ને ઠંડક વધારી શકો છો.
ઘણા લોકો ધાણાજીરા માં તજ અને લવિંગ પણ ઉમેરે છે . જેનો ગરમ મસાલા જેવો ઉપયોગ થાય છે.
મારા ઘરે મોટા ભાગ ની બધી જ રસોઈ માં ધાણાજીરું નો ઉપયોગ થાય છે ..
આશા છે કે તમે પણ તેના અગણિત ફાયદાઓ વાંચી ને રોજીંદા વપરાશ માં ધાણાજીરું ઉપયોગ માં લેશો.
પ્રાચીનકાળથી ધાણા અને જીરું ને આયુર્વેદ માં ખૂબ જ મહત્વ અપાયું છે. જે ભોજન માં સ્વાદ અને સુંગધ માં વધારો કરવા માટે હોય , આરોગ્ય માટે હોય કે સૌંદર્ય માં વધારો કરવા માટે અલગ અલગ પ્રકાર થી ધાણા અને જીરું નો ઉપયોગ થતો આવ્યો છે.
લીલા ધાણા એટલે કોથમીર પણ એટલી જ સ્વાસ્થ્યવર્ધક છે.
લીલી કોથમીર આપણે ગાર્નીશ કરવા માટે, ચટણી બનવામાં , સૂપ અને સલાડ બનવવા માં ઉપયોગ માં લેતા હોઈએ છે જ્યારે સૂકા ધાણા મસાલા માં ઉપયોગ માં લઈએ છીએ.
સૂકા ધાણા થી થતા ફાયદાઓ:-
* દુનિયાભર માં સૂકાધાણા નો દવા તરીકે નો ઉપયોગ પ્રચલિત છે.
* એન્ટિઓક્સિડેન્ટ થી ભરપૂર એવા સૂકા ધાણા પોટેશિયમ, મેગ્નેશિયમ,કૅલ્શિયમ , ફોલિક એસિડ અને વિટામિન A, C અને K થી ભરપૂર છે.
* પાચન અંગે ની સમસ્યાઓ જેમ કે કબજિયાત, અપચો, ગેસ અને એસિટિડી માટે ધાણા ને અકસીર કહી શકાય એવો ઈલાજ છે.
* અશક્તિ અને લોહી ની ઉણપ માટે પણ ધાણા ખૂબ જ ઉપયોગી છે. એન્ટિ ઓક્સિડેન્ટ થી ભરપૂર હોવાથી રોગો સામે રક્ષણ પણ આપે છે , કફ અને ફલૂ જેવી બીમારી ધાણા ખાવાથી દૂર થાય છે.
* વાળ ખરવાની સમસ્યા દૂર થઈ ને વાળ ને મજબૂત બનાવે છે.
*ધાણા માં રહેલા એન્ટિસેપ્ટિક ગુણ ના લીધે ચામડી ને લગતા રોગો જેમકે ખીલ ,કાળા ધબ્બા, એક્ઝેમાં, સોજો આવવો, લાલ ચકામાં જેવી બધી તકલીફો દૂર કરે છે.
* કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે , ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ને કન્ટ્રોલ કરવા માટે પણ ખૂબ ફાયદાકારક નીવડે છે.
* સ્ત્રીઓ માં થતા માસિક અનિયમિતતા અને વધુ રક્તસ્રાવ જેવા પ્રોબ્લેમ્સ પણ દૂર કરે છે.
* ધાણા બ્લડસર્ક્યુલેશન વધારે છે અને પથરી ને પણ શરીર માંથી નીકાળી દે છે.
* હાથપગ માં ખાલી ચડી જવી જેવા પ્રોબ્લેમ્સ પણ દૂર કરે છે.
આ સિવાય પેરેલીસિસ , હાર્ટ પ્રૉબ્લેમ જેવી સમસ્યા માં પણ ખૂબ જ ઉપયોગી છે.
જીરું ખાવાના ફાયદાઓ:-
* આયર્ન થી ભરપૂર એવુ જીરું એન્ટિબેક્ટેરીયલ અને એન્ટિવાયરલ ગુણ ધરાવે છે .
* રોગપ્રતિકારક શક્તિ વધારે છે. અનિંદ્રા ની બીમારી દૂર કરે છે.
* ડાયાબિટીસ થતા અટકાવે છે .
* સ્કિન ને લગતાં પ્રોબ્લેમ્સ દૂર કરી ને સ્કિન ને ચમકીલી બનાવે છે.
આ સિવાય પણ ધાણાજીરું ખાવા ના ઘણા ફાયદાઓ છે. આથી જ રોજીંદા વપરાશ માં તે એનો ચોક્કસ થી ઉપયોગ કરો.
ધાણાજીરું બનાવામાં ખૂબ જ સરળ છે. અને બધા ના ઘરે બનતું જ હોય છે. જો તમેં તૈયાર ધાણાજીરું લાવતા હોય તો ચોક્કસ થી આ રેસિપી ટ્રાય કરો જે ઘરે મિક્સર માં બનાવી શકાય છે.
રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.